આવશે અંદરથી ભીની ભીની સુગંધ, તું કરી જો શ્રદ્ધા સાથે આંખો બંધ
Dr. Sharad Thakar
લાભશંકરભાઇ ભાણગઢ ગામના ગામઠી દવાખાનામાં બેસીને દર્દીઓને તપાસી રહ્યા હતા, ત્યાં એમની નજર દૂર બારીમાંથી દેખાતા દૃશ્ય ઉપર પડી. ખુલ્લા ખેતરના માટી-રસ્તાને ખૂંદતું એક ટોળું દસેક વર્ષના છોકરાને ચકીને શ્વાસભેર આવી રહ્યું હતું.
ભાણગઢ ધોલેરા પંથકનું નાનું એવું ગામડું છે. અમદાવાદથી આશરે એકસો પાંત્રીસ જ કિ.મી. છેટેનું ગામ. પણ આ વિસ્તારની કંગાલિયત જોઇને એવું લાગે કે જાણે પાટનગરથી એકાદ હજાર કિ.મી. દૂરનો આ પ્રદેશ હશે! વાઇબ્રન્ટ ગુજરાતના ગુબ્બારા અહીં આવતાં પહેલાં જ ફૂટી જાય છે અને ગોકુળગ્રામની પરિકલ્પના હાસ્યાસ્પદ બની જાય છે. અહીં ખેતરો છે, પણ પાક નથી. અહીં ભૂખ છે, પણ અનાજ નથી. અહીં માણસો છે, પણ બેકાર છે. અહીં દરદીઓ છે, પણ ડોકટર નથી. આજુબાજુનાં આઠ-દસ ગામો વરચે ઠંડા પાણીની પરબ જેવું એક માત્ર દવાખાનું ભાણગઢમાં છે, જે હમણાં સુધી એક ખખડધજ ઓરડીમાં ચાલતું હતું. થોડાં સમય પહેલાં પ્રમુખસ્વામીના આશીર્વાદથી એક પાકો બાંધેલો વિશાળ ઓરડો દવાખાનાને મળી ગયો છે.
આરોગ્યનું મંદિર તો બંધાઇ ગયું, બીમારીગ્રસ્ત ભગવાનો ઠેર-ઠેર રઝળે છે, પણ પૂજારીનું શું? શહેરની મેડિકલ કોલેજમાંથી એમ.ડી. કે એમ.એસ. થઇને બહાર પડતા એક પણ ડોકટરને આ નપાણિયા મુલક તરફ નજર ફેંકવાની ઇરછા પણ નથી ફુરસત પણ નથી. એક ભલા ડોકટર નામે લાભશંકરભાઇ અઠવાડિયામાં એક વાર દર બુધવારે ભાણગઢના આ સૂના આરોગ્યમંદિરમાં પૂજારીનો પાઠ ભજવવા માટે આવતા રહે છે. વર્ષોથી આ સેવાયજ્ઞ ચાલતો આવે છે, પણ આજે આ નવું કૌતુક થયું.
‘શું થયું છે આ છોકરાને?’ ડોકટરે વિચિત્ર પ્રાણી જેવા લાગતા બાળકને જોઇને પ્રશ્ન કર્યો.
‘ભગવાન જાણે!’ એક જણે જવાબ આપ્યો, ‘છોકરો જયારે છ મહિનાનો હતો ત્યારે એને તાવ આવેલો. એની મા દાગતરને બદલે ભૂવા પાસે લઇ ગઇ. ભૂવાએ દાણા મંતરીને કીધું કે આને કો’કની મેલી નજર લાગી છે. વિધિ કરવી પડશે. દવા-સારવારની જરૂર નથી.
‘પછી?’
‘પછી શું, સાહેબ? છોકરાનું શરીર જકડાઇ ગયું. આજે દસ વર્ષનો થયો, તોયે ચાલી શકતો નથી. હાથ-પગ ટૂંટિયું વળી ગયા છે. આખા પંથકમાં દાગતર તો છે જ નહીં. હમણાં કયાંકથી ખબર સાંભળી કે ભાણગઢમાં દર બુધવારે એક દાગતર આવે છે. દાગતર હોંશિયાર છે અને દયાળુ પણ…’
ડો. લાભશંકરને આત્મ-પ્રશંસા સાંભળવાની આદત નહોતી, એટલે એમણે બોલનારને વરચેથી જ અટકાવ્યો, ‘તમે આ છોકરાના બાપ છો?’ ‘ના, સાહેબ, અમે બધાં તો એના પડોશીઓ છીએ. આના મા-બાપ તો હિંમત હારીને બેસી ગયા છે. એમણે તો દીકરાની સાથે આવવાનીયે ના પાડી દીધી.’
ડો. લાભશંકરભાઇ કરુણતાસભર હસ્યા, ‘એ લોકો વહેવારુ નીકળ્યા, ભાઇ! હું તો જનરલ પ્રેકિટશનર છું. ગામડાનો ડોકટર. શરદી, ખાંસી, તાવ, ઝાડા અને મરડો જેવી સામાન્ય બીમારીઓની સારવાર કરવી એટલું મારું અધિકારક્ષેત્ર. આ બાળકનો ઇલાજ તો અમદાવાદ કે મુંબઇ જેવા મોટા શહેરોના મોટા નિષ્ણાત ડોકટર જ કરી શકે. એ પણ ભાગ્યે જ સફળ જાય. આમાં મારી ચાંચ ન ડૂબે.’
ડોકટરે નિખાલસતાપૂર્વક જણાવી દીધું, પણ એમાં પેલા ગ્રામીણ ભોળા લોકોની ચાંચ ન ડૂબી, ‘સાહેબ, અમે તો તમારા વખાણ સાંભળીને આવ્યા છીએ. પ્રમુખસ્વામી મહારાજના આ દવાખાના માથે આશીર્વાદ છે, પછી દરદીને સારું કેમ ન થાય?’
ડોકટરને થયું કે આ લોકોની શ્રદ્ધા પોતાની આવડત કરતાં ચડિયાતી હતી. એમણે સતીષને (છોકરાનું નામ) તપાસ્યો. એના બંને પગ ગોઠણ આગળથી અને નિતંબના સાંધા આગળથી વળેલા હતા. એને લાંબા કરવાનો જરા સરખો પ્રયત્ન ફ્રેકચરમાં પરિણમે તેવી શકયતા હતી. થોડુંક જ્ઞાન અને ઝાઝો અનુભવ, થોડીક શુભ દાનત અને વધુ તો ગામલોકોને ટાળવાના આશય સાથે ડો.લાભશંકરે સારવાર શરૂ કરી. કાચની બે શીશીમાંથી પ્રવાહી દવાઓ ભરી આપી. દિવસમાં કેટલી વાર લેવી તે વિશે સૂચના આપી. હાથ-પગની થોડીક પ્રાથમિક કસરતો કરાવવાની સલાહ આપી.
‘બીજી વાર કયારે આવીએ, સાહેબ?’ સતીષને લઇને આવેલા એક પડોશીએ પૂછ્યું.
‘ફરી વાર બતાવવા આવવાની જરૂર નથી.’
‘સારું થઇ જશે?’ આ સવાલમાં શ્રદ્ધાનો સાગર છલકાતો હતો. ડોકટર કહેવા તો એવું ઇરછતા હતા કે- ના, સારું કયારેય નથી થવાનું, માટે બીજી વાર છોકરાને લઇને આવવાની ના પાડી રહ્યો છું, પણ અભણ માણસોની ભોળી આંખોમાંથી ટપકતી શુદ્ધ, પરિશુદ્ધ શ્રદ્ધા જોઇને તેઓ આ વાકય ઉરચારી ના શકયા. એને બદલે કહી દીધું, ‘હા, રાહત થઇ જશે.’
બરાબર પંદર દિવસ પછી ફરીથી બુધવારે દસ વાગતામાં તો ટોળું પાછું ઝબકયું.
ડો.લાભશંકરભાઇ દર્દીઓને તપાસી રહ્યા હતા, એમાંથી માથું ઊંચું કરીને બારીની બહાર જોયું. જે દૃશ્ય ભાળ્યું એનાથી ઘીસ ખાઇ ગયા. પખવાડિયા પહેલાંનાં અને આજના દૃશ્યો વરચે તફાવત માત્ર એક જ હતો: આજે સતીષ પોતાના પગ ઉપર ચાલીને આવી રહ્યો હતો! અલબત્ત, ડાબે-જમણે બે પુરુષોએ એને સહારો આપવો પડતો હતો, પણ તેમ છતાં સતીષની હાલતમાં અઠ્ઠાણું પ્રતિશત જેટલો સુધારો જોઇ શકાતો હતો. સતીષ અંદર આવીને ડોકટરના પગમાં પડી ગયો. ટોળુ ડોકટરની સામે હાથ જૉડીને ઉભું રહ્યું.
‘જોયું, સાહેબ, અમે નહોતા કે’તા કે તમારી દવામાં અને આ દવાખાનામાં જશ લખાયેલો છે? થયોને ચમત્કાર?’ ટોળાનો પ્રવકતા ઉત્સાહમાં હતો.
ડો.લાભશંકરભાઇ આ લોકોને રાજી જોઇને કંઇ બોલ્યા નહીં, પણ એ તો વિજ્ઞાનના માણસ હતા. એમને ‘ચમત્કાર’ નામના શબ્દ સાથે ઝાઝું સગપણ પરવડે નહીં. એ સમજી ગયા કે ભલે સતીષની બીમારીનું નિદાન ગમે તે હોય, પણ એમણે આપેલી સારવાર કારગત નીવડી હતી. શકિતની દવાએ અસર દેખાડી હોય કે કસરતે ફાયદો કરી આપ્યો હોય કે પછી છોકરાના ખુદના આત્મવિશ્વાસનું આ પરિણામ હોય, જે હોય તે, પણ છેલ્લા નવ-સાડા નવ વર્ષથી જકડાયેલી જિંદગી જીવતો સતીષ આજે એના પગ ઉપર ઉભો હતો.
પણ ડોકટરે આ બધાં તર્કો ટોળા સમક્ષ ઉઘાડા ન પાડયા. જે શ્રદ્ધાના પાણી વડે વાલ ચડતાં હતાં એને ચડવા દેવામાં જ શાણપણ હતું. સોથી વધારે મહત્ત્વની બાબત એ હતી કે એમને ખુદને પોતાની દવામાં હવે વિશ્વાસ વધી ગયો હતો.
‘ગભરુ, ગયા વખતે આપેલી એ જ દવા આજે પણ ભરી આપ! આ વખતે શીશીઓ જરા મોટી લેજે…’ ડોકટરે કમ્પાઉન્ડરને સૂચના આપી, પછી સતીષને સલાહ આપી, ‘બંને દવાઓ નિયમિત પણે લેજે. સવારે ને સાંજે એક-એક ગ્લાસ દૂધ પીવાનું રાખજે. થાળીમાં જે પીરસાય તે બધું જ ખાજે, અને હાથ-પગને તેલનું માલીશ કરાવજે. કસરતોનું પ્રમાણ પહેલાં કરતાં બમણું કરી નાખજે.’
‘સાહેબ, ફરી પાછો કયારે આવું?’
‘પંદર દિવસ પછી.’
‘ત્યાં સુધીમાં થોડોક વધારે ફરક તો પડી જશે ને?’ સતીષની આંખોમાં ચમકારો હતો.
‘ફરક? અરે, પંદર દી’ પછી તો તું દોડતો થઇ ગયો હોઇશ. તને આ દવાખાનાની બહારના ખુલ્લા મેદાનમાં જો ક્રિકેટ રમતો ન કરી દઉં તો મારું નામ…’ આટલું બોલીને લાભશંકરભાઇ અટકી ગયા. દર્દીને સાજો કરવાનો ગર્વ અને એ બાબતનું ગૌરવ, એ બે વરચે બહુ પાતળી ભેદરેખા રહેલી હોય છે. સારો ડોકટર આ વાત જાણતો હોય છે, અને સારો ડોકટર એ વાત પણ સારી રીતે જાણતો હોય છે કે જગતમાં તમામ દરદીઓ માત્ર દવાને કારણે જ સાજા નથી થઇ જતા, તબીબી-વિજ્ઞાનમાં ‘માઇન્ડ ઓવર બોડી’ જેવું પણ કશુંક હોય છે જેને વિજ્ઞાન હવે સ્વીકારવા લાગ્યું છે.
(સત્ય ઘટના, શીર્ષક પંકિત : ચંદ્રેશ શાહ)